ત્રિફળા: આયુર્વેદની એ ‘સુપરફોર્મ્યુલા’ જે શરીરને અંદરથી કરે છે ફિલ્ટર; હૃદયરોગ અને વજન ઘટાડવામાં પણ અસરકારક
આજના સમયમાં પ્રદૂષિત વાતાવરણ અને પ્રોસેસ્ડ ફૂડના કારણે આપણા શરીરમાં ઝેરી તત્વો (Toxins) જમા થતા રહે છે. આ સ્થિતિમાં આયુર્વેદિક જડીબુટ્ટી ‘ત્રિફળા’ એક શક્તિશાળી ડિટોક્સ એજન્ટ તરીકે ઉભરી આવી છે. એઈમ્સના પૂર્વ સલાહકાર અને સાઓલ હાર્ટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. બિમલ ઝાંઝરના જણાવ્યા અનુસાર, ત્રિફળા એ બદલાતી જીવનશૈલી વચ્ચે શરીરને સ્વસ્થ રાખવાની સૌથી સલામત રીત છે.
શું છે આ ‘ત્રિફળા’નું વિજ્ઞાન?
ત્રિફળા એ કોઈ એક જડીબુટ્ટી નથી, પરંતુ ત્રણ શક્તિશાળી ફળોનું મિશ્રણ છે: ૧. આમળા (Phyllanthus emblica): વિટામિન-સી થી ભરપૂર, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ૨. બહેડા (Terminalia bellirica): જે શ્વસનતંત્ર અને પાચન માટે ઉત્તમ છે. ૩. હરડે (Terminalia chebula): જેને આયુર્વેદમાં ‘માતા’ સમાન ગણવામાં આવે છે, જે પેટના તમામ રોગો હરે છે. પરંપરાગત રીતે તેને ૪:૨:૩ ના ચોક્કસ અનુપાતમાં ભેળવીને તૈયાર કરવામાં આવે છે, જે શરીરના ત્રણેય દોષ (વાત, પિત્ત અને કફ) ને સંતુલિત કરે છે.
સંશોધન શું કહે છે?
ઈરાની જર્નલ ઓફ ફાર્માકોલોજી એન્ડ થેરાપ્યુટિક્સમાં પ્રકાશિત થયેલા ક્લિનિકલ ટ્રાયલ્સ મુજબ, ત્રિફળા એક અસરકારક ‘લેક્સેટિવ’ છે. તે માત્ર આંતરડા સાફ નથી કરતું, પરંતુ જઠરાંત્રિય માર્ગમાં થતી બળતરા ઘટાડે છે અને એસિડિટી જેવી સમસ્યાઓને મૂળમાંથી ખતમ કરે છે.
હૃદય અને ડાયાબિટીસમાં રક્ષણ
ડૉ. ઝાંઝરના મતે, ત્રિફળામાં રહેલા પોલિફેનોલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે, જે ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
વજન ઘટાડવા અને ઓરલ હેલ્થ માટે અકસીર
જો તમે ૨૦૨૬માં ફિટનેસ ગોલ્સ સેટ કર્યા હોય, તો ત્રિફળા તમારા મેટાબોલિઝમને વેગ આપીને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, ત્રિફળાના પાણીથી કોગળા કરવાથી દાંતમાં કેવિટી, પેઢાનો સોજો અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
કેવી રીતે અને ક્યારે લેવું?
નિષ્ણાતોના મતે, દિવસમાં ૧ થી ૧.૫ ચમચી (આશરે ૫ ગ્રામ) ત્રિફળા પાવડર પૂરતો છે.
-
કબજિયાત માટે: રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે લેવું.
-
ડિટોક્સ માટે: આખી રાત પાણીમાં પલાળી રાખીને સવારે ગાળીને પીવું.
સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધી રહી છે, ત્યારે ત્રિફળા જેવી પ્રાચીન ફોર્મ્યુલાને દિનચર્યામાં સામેલ કરવી એ લાંબા આયુષ્યની ચાવી છે. જોકે, ગર્ભવતી મહિલાઓ અને ક્રોનિક બીમારી ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લીધા બાદ જ તેનું સેવન શરૂ કરવું જોઈએ.

