હવે જન્મતારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય નહીં ગણાય, UIDAI એ નિયમોમાં કર્યો મોટો ફેરફાર
આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, આધાર કાર્ડ વગર કામ ચાલતું નથી. જોકે, Unique Identification Authority of India (UIDAI) એ હવે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. UIDAI ના જણાવ્યા અનુસાર, આધાર કાર્ડ માત્ર તમારી ઓળખ (Identity) અને સરનામા (Address) નો પુરાવો છે, તે તમારી જન્મતારીખનો સચોટ પુરાવો નથી.
શા માટે આધારને જન્મતારીખનો પુરાવો ન માનવો?
UIDAI એ આધાર યુઝર એજન્સીઓ (AUA) અને ઇ-કેવાયસી એજન્સીઓને મોકલેલા પત્રમાં આ અંગે વિગતવાર માહિતી આપી છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
માહિતીનો સ્ત્રોત: આધાર કાર્ડ બનાવતી વખતે કે અપડેટ કરાવતી વખતે જે જન્મતારીખ લખવામાં આવે છે, તે યુઝર દ્વારા આપવામાં આવેલી જાણકારી પર આધારિત હોય છે.
અંદાજિત તારીખ (Default DOB): ઘણા કિસ્સાઓમાં જ્યારે કોઈ વ્યક્તિ પાસે જન્મનો કોઈ માન્ય દસ્તાવેજ હોતો નથી, ત્યારે સિસ્ટમમાં માત્ર જન્મનું વર્ષ નાખવામાં આવે છે. આવા કિસ્સામાં સિસ્ટમ આપોઆપ ૧લી જાન્યુઆરી ને ડિફોલ્ટ જન્મતારીખ તરીકે સ્વીકારી લે છે.
ચકાસણીનો અભાવ: આધારનું મુખ્ય કામ બાયોમેટ્રિક ડેટા દ્વારા વ્યક્તિની ઓળખ પ્રસ્થાપિત કરવાનું છે. ઓથેન્ટિકેશન પ્રક્રિયામાં તમારી ઓળખની પુષ્ટિ થાય છે, પરંતુ તમે આપેલી જન્મતારીખ સાચી છે કે નહીં તેની કોઈ અલગથી તપાસ કરવામાં આવતી નથી.
કઈ જગ્યાએ આધાર માન્ય ગણાશે?
UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડના તમામ સ્વરૂપો જેવા કે:
ફિઝિકલ પ્લાસ્ટિક કાર્ડ
ઇ-આધાર (E-Aadhaar)
માસ્ક્ડ આધાર (Masked Aadhaar)
ક્યુઆર કોડ (QR Code)
આ તમામ પદ્ધતિઓ વ્યક્તિની ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે સંપૂર્ણપણે માન્ય રહેશે. જોકે, કોઈ ખાસ હેતુ માટે (જેમ કે નિવૃત્તિ વય નક્કી કરવા કે અન્ય કાયદાકીય હેતુ માટે) આધારનો ઉપયોગ કરવો કે નહીં, તેનો નિર્ણય જે-તે એજન્સી અથવા મંત્રાલય પોતાના નિયમો મુજબ લઈ શકે છે.
જન્મતારીખ માટે હવે કયા દસ્તાવેજો જરૂરી?
જો તમારે ક્યાંય જન્મતારીખનો પુરાવો આપવાનો હોય, તો હવે આધાર કાર્ડને બદલે નીચેના દસ્તાવેજો વધુ વિશ્વસનીય ગણાશે:
જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate)
સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ (LC) અથવા માર્કશીટ
પાસપોર્ટ (Passport)
પાન કાર્ડ (PAN Card)
સરકારી યોજનાઓ પર અસર
વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સબસિડી અને અન્ય સરકારી સેવાઓમાં આધારનો ઉપયોગ ચાલુ રહેશે. રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો નક્કી કરી શકે છે કે તેઓ કોઈ ચોક્કસ સુવિધા માટે આધારને કયા પુરાવા તરીકે સ્વીકારે છે. પરંતુ કાયદાકીય રીતે જ્યાં સચોટ જન્મતારીખની જરૂર હોય, ત્યાં આધારને ‘ગોસ્પેલ ટ્રુથ’ (સંપૂર્ણ સત્ય) માનવામાં આવશે નહીં.

