દિવસભર શરીરમાં હાઇડ્રેશન જાળવવા કેટલું પાણી પીવું જરૂરી? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
માનવ શરીરને તંદુરસ્ત અને કાર્યક્ષમ રાખવા માટે પાણી સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. આપણા શરીરનો દરેક કોષ, પેશી (Tissue) અને અંગ યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી જરૂરી છે. પાણી માત્ર શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં જ મદદરૂપ નથી થતું, પરંતુ વિવિધ અંગો સુધી પોષક તત્વો પહોંચાડવા અને ઝેરી કચરાને બહાર નિકાલ કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. શ્વાસોચ્છવાસ, પરસેવો, પેશાબ અને મળત્યાગ દ્વારા આપણા શરીરમાંથી દરરોજ સતત પ્રવાહી ઓછું થતું હોય છે. જો આ ઘટ પૂરી કરવામાં ન આવે તો વ્યક્તિ ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની ઉણપ) નો શિકાર બની શકે છે.
દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?
સામાન્ય રીતે ‘રોજ ૮ ગ્લાસ પાણી પીવું’ એવો નિયમ સાંભળવા મળે છે, પરંતુ દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. વિશ્વવિખ્યાત મેયો ક્લિનિકના રિપોર્ટ અનુસાર, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિને દરરોજ અંદાજે ૨.૭ થી ૩.૭ લિટર કુલ પ્રવાહીની જરૂર પડે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ જરૂરિયાત માત્ર સાદા પાણીથી જ પૂરી થાય એવું નથી. આપણે દિવસ દરમિયાન જે ખોરાક લઈએ છીએ, દૂધ, ચા, કોફી, સૂપ કે ફળોના રસનું સેવન કરીએ છીએ, તેમાંથી પણ શરીરને ૨૦ ટકા જેટલું પાણી મળી રહે છે. તેથી દરેક વ્યક્તિ માટે દરરોજ પરાણે ૩ થી ૪ લિટર સાદું પાણી ગટગટાવવું જરૂરી નથી.
ડિહાઇડ્રેશન કેવી રીતે ઓળખવું?
શરીરમાં પાણીની ઉણપ થઈ રહી છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો પેશાબનો રંગ છે. જો શરીર પૂરતું હાઇડ્રેટેડ હોય તો પેશાબનો રંગ આછો પીળો અથવા પારદર્શક હોય છે. પરંતુ જો પેશાબનો રંગ ઘેરો પીળો કે બળતરાયુક્ત હોય અને વારંવાર તરસ લાગે, તો તે શરીરમાં પાણી ઘટી ગયાનો સ્પષ્ટ સંકેત છે. આ ઉપરાંત અચાનક માથાનો દુખાવો થવો, સતત થાક લાગવો, ચક્કર આવવા, ત્વચા સુકાઈ જવી અને નબળાઈ અનુભવાવી એ પણ ડિહાઇડ્રેશનના પ્રારંભિક લક્ષણો છે. ગંભીર કિસ્સાઓમાં માનસિક મૂંઝવણ કે વિચારવાની ક્ષમતા પર પણ માઠી અસર પડી શકે છે.
કોને વધુ પ્રવાહીની જરૂર પડે છે?
દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અને જીવનશૈલી મુજબ પાણીની જરૂરિયાત બદલાય છે:
૧. કસરત અને શારીરિક શ્રમ: જે લોકો જિમ જાય છે, સ્પોર્ટ્સ રમતમાં છે કે ભારે શારીરિક શ્રમ કરે છે, તેમના શરીરમાંથી પરસેવા રૂપે પાણી બહાર નીકળી જાય છે, તેથી તેમણે વધુ પાણી પીવું પડે છે.
૨. હવામાન: ગરમ કે ભેજવાળા વાતાવરણમાં શરીરને ઠંડુ રાખવા માટે વધુ પ્રવાહીની જરૂર રહે છે.
૩. બીમારી: તાવ, ઉલટી કે ઝાડા જેવી સ્થિતિમાં શરીરમાંથી ઝડપથી પાણી ઓછું થાય છે, જેને તાત્કાલિક પૂરું કરવું જરૂરી છે.
૪. ગર્ભાવસ્થા અને સ્તનપાન: સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને પોતાના અને બાળકના સ્વાસ્થ્ય માટે સામાન્ય કરતાં વધુ પ્રવાહીની જરૂર હોય છે.
હાઇડ્રેટેડ રહેવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો
એકસાથે ખૂબ બધું પાણી પી જવાને બદલે આખો દિવસ થોડા-થોડા સમયે પાણી પીવાની ટેવ પાડવી જોઈએ. દરેક ભોજન સાથે અને ભોજનના અંતરાલ વચ્ચે થોડું પાણી પીવું હિતાવહ છે. વર્કઆઉટ કે કસરત કરતા પહેલાં, તે દરમિયાન અને પછી પૂરતું પાણી લેવું જોઈએ. ગરમીના દિવસોમાં ઘરની બહાર નીકળતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવી. જોકે, જરૂરિયાત કરતા વધુ પડતું પાણી પીવાથી પણ બચવું જોઈએ, કારણ કે અતિશય પાણી પીવાથી શરીરમાં રહેલા સોડિયમનું પ્રમાણ ખતરનાક હદે ઘટી શકે છે.

