ટેક્સ નથી ભરવો છતાં ITR ભરવું છે ફરજિયાત! જાણો આવકવેરા વિભાગનો નવો નિયમ
- ફોર્મમાં આપેલા અલગ-અલગ વિકલ્પોમાંથી તમારે શું પસંદ કરવું?
- ૧. કરપાત્ર આવક કરમક્તિ મર્યાદાથી વધુ હોવી (Taxable income above exemption limit)
- ૨. ટેક્સ રિફંડ મેળવવા માટે (Claiming a tax refund)
- ૩. નુકસાન આગળ ખેંચવા માટે (Carrying forward losses)
- ૪. ફરજિયાત ફાઈલિંગ (Mandatory filing)
- ૫. અન્ય કારણો (Others)
- આવક ટેક્સને પાત્ર ન હોય તો પણ શું ITR ભરવું જરૂરી છે?
- છેલ્લી ઘડીની રાહ જોયા વગર કામ પૂરું કરો
આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની તારીખ ખૂબ જ નજીક આવી પહોંચી છે અને તેની સાથે જ દેશભરમાં ટેક્સપેયર્સની ધમાધમ ચરમસીમા પર પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૫ કરોડથી વધુ આયકર રિટર્ન ફાઈલ થઈ ચૂક્યા છે. છેલ્લી ઘડીની સર્વરની સમસ્યાઓ અને મોડા ફાઈલ કરવા બદલ લાગતા દંડથી બચવા માટે લોકો વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે.
પરંતુ, આ વખતે ઘણા બધા ટેક્સપેયર્સ આયકર ફોર્મમાં પૂછાયેલા એક ચોક્કસ પ્રશ્નને લઈને ભારે મૂંઝવણમાં મુકાયા છે. ફોર્મમાં પૂછવામાં આવે છે: “Are you filing the income tax return for any of the following reasons?” (તમે નીચેનામાંથી કયા કારણસર આયકર રિટર્ન ફાઈલ કરી રહ્યા છો?). ગૂગલ સર્ચ પર પણ છેલ્લા કેટલાક મહિનાઓથી આ પ્રશ્ન સૌથી વધુ સર્ચ થનારા વિષયોમાંથી એક બની ગયો છે.
આ અસમંજસનું મુખ્ય કારણ એ છે કે કરદાતાઓને ડર છે કે જો તેઓ ખોટો વિકલ્પ પસંદ કરશે, તો તેમને ઇનકમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ આવી શકે છે અથવા તેમના ટેક્સ રિફંડ (Tax Refund) અટકી શકે છે. તો ચાલો સમજીએ કે ફોર્મમાં કયો વિકલ્પ ક્યારે પસંદ કરવો જોઈએ.
ફોર્મમાં આપેલા અલગ-અલગ વિકલ્પોમાંથી તમારે શું પસંદ કરવું?
આવકવેરા રિટર્ન ભરતી વખતે જો તમે શરતો પૂર્ણ કરતા હોવ, તો નીચે મુજબના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહે છે:
૧. કરપાત્ર આવક કરમક્તિ મર્યાદાથી વધુ હોવી (Taxable income above exemption limit)
જો તમારી નાણાકીય વર્ષની કુલ આવક નવી ટેક્સ રિજીમ (New Tax Regime) હેઠળ ₹૪,૦૦,૦૦૦ થી વધુ છે અથવા જૂની ટેક્સ રિજીમ (Old Tax Regime) હેઠળ ₹૨.૫ લાખ (૬૦ વર્ષથી ઓછી ઉંમરના નાગરિકો માટે) થી વધુ છે, તો તમારે આ જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
૨. ટેક્સ રિફંડ મેળવવા માટે (Claiming a tax refund)
જો તમારી આવકમાંથી વધુ પડતો TDS કપાઈ ગયો હોય અથવા તમે જરૂરિયાત કરતાં વધુ ટેક્સ ચૂકવી દીધો હોય અને હવે તમે તે નાણાં સરકાર પાસેથી પાછા મેળવવા (Refund) માંગતા હોવ, તો આ વિકલ્પ પસંદ કરવો.
૩. નુકસાન આગળ ખેંચવા માટે (Carrying forward losses)
જો તમને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ બિઝનેસમાં નુકસાન (Loss) થયું હોય અને તમે તે નુકસાનને આગામી વર્ષોના નફા સામે સેટ-ઓફ કરવા માટે આગળ ખેંચવા (Carry forward) માંગતા હોવ, તો આ વિકલ્પ તમારા માટે છે.
૪. ફરજિયાત ફાઈલિંગ (Mandatory filing)
જો તમારી આવક કરમૂક્તિની મૂળ મર્યાદા કરતાં ઓછી હોય, પરંતુ આવકવેરાના ચોક્કસ નિયમો અને કાયદા હેઠળ તમારા માટે રિટર્ન ભરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હોય, તો આ ઓપ્શન પર ક્લિક કરવું.
૫. અન્ય કારણો (Others)
જો ઉપર દર્શાવેલ ચારમાંથી એક પણ કારણ તમારા કેસમાં લાગુ પડતું ન હોય, પરંતુ તેમ છતાં તમે ભવિષ્યમાં લોન, વિઝા કે અન્ય નાણાકીય પુરાવા માટે સ્વેચ્છાએ ITR ફાઈલ કરવા માંગતા હોવ, તો તમારે ‘Others’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
સરળ શબ્દોમાં કહીએ તો, આવકવેરા વિભાગ આ પ્રશ્ન દ્વારા તમે કયા મુખ્ય હેતુથી રિટર્ન ભરી રહ્યા છો તેનો એક પ્રાથમિક ચિત્ર કે સમીક્ષા મેળવવા માંગે છે. તેથી કોઈ પણ વિકલ્પ પર સબમિટ કરતાં પહેલાં તમારી સ્થિતિ ચકાસી લેવી હિતાવહ છે.
આવક ટેક્સને પાત્ર ન હોય તો પણ શું ITR ભરવું જરૂરી છે?
હા, ઘણા કિસ્સાઓમાં આવક ટેક્સ સ્લેબ હેઠળ ન આવતી હોય તો પણ રિટર્ન ભરવું કાયદાકીય રીતે ફરજિયાત હોય છે.
જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ ૬૦ વર્ષથી ઓછી વયના લોકો માટે મૂળ કરમૂક્તિ મર્યાદા ₹૨.૫ લાખ, સીનિયર સિટીઝન્સ (૬૦ થી ૮૦ વર્ષ) માટે ₹૩ લાખ અને સુપર સીનિયર સિટીઝન્સ (૮૦ વર્ષથી વધુ) માટે ₹૫ લાખ છે. જ્યારે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ તમામ વયજૂથના લોકો માટે આ મર્યાદા ₹૪ લાખ નક્કી કરવામાં આવી છે.
પરંતુ જો તમારી આવક આ મર્યાદા કરતાં ઓછી હોય, છતાં જો તમે નીચે દર્શાવેલી સ્થિતિમાંથી કોઈ પણ એકમાં આવતા હોવ તો તમારા માટે ITR ફાઈલ કરવું ફરજિયાત બને છે:
-
બચત ખાતામાં મોટો વ્યવહાર: નાણાકીય વર્ષ દરમિયાન તમારા સેવિંગ્સ એકાઉન્ટ્સમાં કુલ જમા રકમ ₹૫૦ લાખથી વધુ થઈ હોય.
-
કરન્ટ એકાઉન્ટમાં ડિપોઝિટ: તમારા ચાલુ ખાતામાં (Current Account) વર્ષ દરમિયાન ₹૧ કરોડથી વધુ રકમ જમા થઈ હોય.
-
વિદેશ પ્રવાસનો ખર્ચ: તમે અથવા તમારા પરિવાર માટે વિદેશ પ્રવાસ પાછળ ₹૨ લાખથી વધુનો ખર્ચ કર્યો હોય.
-
વીજળીનું મોટું બિલ: વર્ષ દરમિયાન કુલ વીજળી બિલનો ખર્ચ ₹૧ લાખથી વધી ગયો હોય.
-
વિદેશી સંપત્તિ: તમે વિદેશમાં કોઈ સંપત્તિ ધરાવતા હોવ અથવા વિદેશી બેંક એકાઉન્ટમાં સહી કરવાની સત્તા (Signing Authority) ધરાવતા હોવ.
છેલ્લી ઘડીની રાહ જોયા વગર કામ પૂરું કરો
ITR-1 અને ITR-2 ફાઈલ કરનારા કરદાતાઓ માટે છેલ્લી તારીખ નજીક આવી ચૂકી છે. આ ફોર્મ્સ મુખ્યત્વે પગારદાર કર્મચારીઓ, પેન્શનરો, વ્યાજની આવક ધરાવતા લોકો, મકાન ભાડાની આવક કે કેપિટલ ગેઇન્સ ધરાવતા વ્યક્તિઓ માટે હોય છે જેમને પોતાના ખાતાઓનું ઓડિટ (Audit) કરાવવાની જરૂર હોતી નથી.

