ડિજિટલ એરેસ્ટ થતાં જ તરત કરો આ કામ: સુપ્રીમ કોર્ટે આપ્યા 10 મોટા આદેશ, વાંચી લો કામ આવશે!
દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ એરેસ્ટ’ અને સાયબર ફ્રોડના કિસ્સાઓ સામે દેશની સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ પ્રકારના ગુનાઓ પર લગામ કસવા અને પીડિતોને ઝડપી ન્યાય અપાવવાના હેતુથી સુપ્રીમ કોર્ટે દેશભરમાં એકસમાન માર્ગદર્શિકા (SOP) લાગુ કરવા સહિત અનેક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
RBI માટે સ્પષ્ટ નિર્દેશો અને સમયમર્યાદા
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને ચાર અઠવાડિયાની અંદર તમામ બેંકો માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરીને જારી કરવાનો આદેશ આપ્યો છે. આ SOP ખાસ કરીને ગેરકાયદેસર રીતે વપરાતા મ્યુલ એકાઉન્ટ્સ (Mule Accounts), મની લોન્ડરિંગ અને સાયબર ફ્રોડ સાથે જોડાયેલા બેંક ખાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માર્ગદર્શિકાની એક નકલ દેશની તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ મોકલવામાં આવશે જેથી ન્યાયિક પ્રક્રિયામાં સુમેળ જળવાઈ રહે.
ખાતામાંથી પૈસા ઉપાડવા પર તાત્કાલિક રોક
તપાસ દરમિયાન જો કોઈ બેંક ખાતું સાયબર ફ્રોડ સાથે જોડાયેલું હોવાનું માલૂમ પડે, તો તે ખાતામાંથી ડેબિટ ટ્રાન્ઝેક્શન (નાણાં ઉપાડવા કે ટ્રાન્સફર કરવા) પર તાત્કાલિક ધોરણે કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પગલાનો મુખ્ય હેતુ ઠગાઈથી મેળવેલા નાણાં સુરક્ષિત રાખવાનો છે જેથી પીડિતોને તેમના નાણાં પરત મેળવવામાં સરળતા રહે.
તકરાર નિવારણ અને નાગરિક જાગૃતિ
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે RBIની SOPમાં પીડિતો માટે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અત્યંત સરળ હોવી જોઈએ. સાથોસાથ, ફસાયેલા નાણાં ઝડપથી પરત મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો આ સુવિધાઓ અને ફરિયાદ નિવારણ પદ્ધતિઓથી વાકેફ થાય તે માટે વ્યાપક સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ તાકીદ કરવામાં આવી છે.
રાજ્યો અને પોલીસ એજન્સીઓ માટે કડક સૂચનાઓ
સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પોલીસ એજન્સીઓને શક્ય તેટલી વહેલી તકે ફરિયાદ નિવારણ પ્રણાલી (Grievance Redressal Mechanism) સ્થાપિત કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે ફ્રીઝ થયેલા બેંક ખાતાઓ અંગેના વિવાદો અદાલતો સમક્ષ આવે, ત્યારે તેઓ પીડિતોને કોર્ટના લાંબા ચક્કરમાં પડતા પહેલા આ સરકારી ફરિયાદ નિવારણ તંત્રનો ઉપયોગ કરવા સલાહ આપે.
સાયબર ક્રાઇમ સેન્ટર અને e-Zero FIR
જે રાજ્યોએ હજુ સુધી ‘સ્ટેટ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર’ની સ્થાપના નથી કરી, તેમને ચાર અઠવાડિયામાં આ કેન્દ્રો શરૂ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તે સિવાય, ગુનાઓની તાત્કાલિક નોંધણી સુનિશ્ચિત કરવા માટે ‘e-Zero FIR’ સિસ્ટમ ઝડપથી અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટી અને વળતર
સાયબર ફ્રોડના કિસ્સામાં બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની જવાબદારી નક્કી કરવા માટે એક ‘ઈન્ટર-ડિપાર્ટમેન્ટલ કમિટી’ની રચના કરવામાં આવશે. આ સમિતિ તપાસ કરશે કે આવા કિસ્સાઓમાં બેંકોની શું ક્ષતિ રહી ગઈ છે અને પીડિતોને યોગ્ય વળતર કેવી રીતે આપી શકાય. અંતમાં, સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સાયબર ફ્રોડના કારણે ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાઓને લગતા કેસોનો નિકાલ ઝડપથી અને અગ્રતાના ધોરણે કરવામાં આવે.

