૩૧ જુલાઈની ITR ફાઇલ કરવાની ડેડલાઇન ચૂકી ગયા છો? ગભરાશો નહીં, હજુ પણ ઉપલબ્ધ છે આ ૩ રસ્તા
આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની વર્ષ ૨૦૨૬ માટેની સામાન્ય ડેડલાઇન એટલે કે ૩૧ જુલાઈ પૂર્ણ થઈ ગઈ છે. જો તમે પણ કોઈ કારણસર ૩૧ જુલાઈ સુધીમાં તમારું રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયા છો, તો તમારે બિલકુલ ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી. આવકવેરા કાયદા હેઠળ કરદાતાઓને આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કેટલાક યોગ્ય અને કાયદેસર વિકલ્પો આપવામાં આવ્યા છે.
જો સમયસર રિટર્ન ફાઇલ નથી થઈ શક્યું, તો પણ તમે દંડ કે લેટ ફી ભરીને તમારું રિટર્ન સબમિટ કરી શકો છો. આ માટે સરકારે કઈ જોગવાઈઓ કરી છે અને તમારે હવે તરત જ કયા પગલાં ભરવા જોઈએ તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.
૧. બિલેટેડ રિટર્ન (Belated ITR) ફાઇલ કરવાનો વિકલ્પ
સમયમર્યાદા પૂરી થયા પછી ફાઇલ કરવામાં આવતા રિટર્નને ટેક્સની ભાષામાં ‘બિલેટેડ રિટર્ન’ (Belated Return) કહેવામાં આવે છે. આવકવેરા કાયદાની કલમ ૧૩૯(૪) હેઠળ, કરદાતાઓ ૩૧ ડિસેમ્બર સુધી પોતાનું વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકે છે.
જો તમારી કુલ વાર્ષિક આવક રૂ. ૫ લાખ કે તેથી ઓછી હોય, તો તમારે માત્ર રૂ. ૧,૦૦૦ ની લેટ ફી ચૂકવવી પડશે. પરંતુ જો તમારી વાર્ષિક આવક રૂ. ૫ લાખથી વધુ હોય, તો કલમ ૨૩૪F હેઠળ રૂ. ૫,૦૦૦ ની લેટ ફી ભરવી પડશે. ઉલ્લેખનીય છે કે જો તમારી વાર્ષિક આવક કર મુક્તિની મૂળભૂત મર્યાદા કરતાં ઓછી હોય, તો તમારે કોઈ લેટ ફી ચૂકવવાની રહેશે નહીં.
જો તમારી કોઈ ટેક્સ જવાબદારી બાકી નીકળતી હોય, તો લેટ ફી ઉપરાંત કલમ ૨૩૪A હેઠળ પ્રતિ મહિને ૧% લેખે સાદું વ્યાજ પણ ચૂકવવું પડશે.
ખાસ નોંધનીય છે કે જો તમે નોકરિયાત નથી અને ફ્રીલાન્સિંગ કરો છો અથવા કોઈ નાનો વ્યવસાય ચલાવો છો (કે જેમાં એકાઉન્ટ્સ ઓડિટ કરવાની જરૂર નથી), તો તમારા માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે. આવી શ્રેણીના લોકો ૩૧ ઓગસ્ટ સુધી કોઈપણ લેટ ફી વગર આસાનીથી રિટર્ન ફાઇલ કરી શકે છે.
૨. ૩૧ ડિસેમ્બર પણ ચૂકી જાવ તો ITR-U નો વિકલ્પ
જો કોઈ કરદાતા ૩૧ ડિસેમ્બરની અંતિમ તારીખ પણ ચૂકી જાય, તો પણ રિટર્ન ફાઇલ કરવાનો દરવાજો સંપૂર્ણપણે બંધ થતો નથી. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ ‘ITR-U’ (Updated Return) ફાઇલ કરવાની સુવિધા આપે છે.
તમે સંબંધિત આકારણી વર્ષ પૂરું થયાના ૨૪ મહિનાની અંદર ITR-U ફાઇલ કરી શકો છો. જોકે, આ વિકલ્પમાં કરદાતા પર વધારાનો કર દંડ લાદવામાં આવે છે, જે બાકી ટેક્સના ૨૫% થી ૫૦% સુધી હોઈ શકે છે.
મોડું રિટર્ન ફાઇલ કરવાના શું છે ગેરફાયદા?
જો તમે સમયસર (૩૧ જુલાઈ સુધીમાં) ITR ફાઇલ નથી કરતા, તો તમારે કેટલાક નાણાકીય નુકસાન સહન કરવા પડે છે. સૌથી મોટો ગેરફાયદો એ છે કે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે બિઝનેસમાં થયેલા કેપિટલ લોસ (નુકસાન) ને તમે આગામી વર્ષોના પ્રોફિટ સામે એડજસ્ટ કરવા માટે કેરી ફોરવર્ડ (આગળ ખેંચી) શકતા નથી. જોકે, ઘરની મિલકત (હાઉસ પ્રોપર્ટી) પર થયેલા નુકસાનને આગળ લઈ જવાની છૂટ મળે છે.
આ ઉપરાંત, જો તમારો ટીડીએસ (TDS) કપાયો હોય અને તમે ઇન્કમ ટેક્સ રિફંડનો દાવો કરી રહ્યા છો, તો મોડું રિટર્ન ફાઇલ કરવાથી રિફંડ પ્રોસેસ થવામાં અને ખાતામાં જમા થવામાં ઘણો વિલંબ થઈ શકે છે.
કરદાતાઓએ હવે તાત્કાલિક શું કરવું જોઈએ?
-
AIS અને ફોર્મ 26AS ચકાસો: આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરીને તમારું એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અને ફોર્મ 26AS તરત જ ડાઉનલોડ કરો.
-
બાકી કરની ગણતરી કરો: જો તમારી કોઈ ટેક્સ લાયબિલિટી બાકી નીકળતી હોય, તો તેના પર લાગતા વ્યાજનો બોજ ઘટાડવા માટે સ્વ-મૂલ્યાંકન કર (Self-Assessment Tax) તરીકે ટેક્સ ચલણ દ્વારા તુરંત ભરી દો.
-
વહેલી તકે ફાઇલિંગ કરો: ૩૧ ડિસેમ્બરની છેલ્લી ઘડી સુધી રાહ જોયા વગર શક્ય તેટલું વહેલું તમારું બિલેટેડ રિટર્ન ફાઇલ કરી દો જેથી વધારાના વ્યાજથી બચી શકાય.

