સામાન્ય ગ્રીન ટી કરતાં ૧૩૭ ગણી વધુ શક્તિશાળી છે માચા ટી, જાણો એસિડિટી અને ઊંઘ ન આવવા પાછળનું કનેક્શન
ભારતમાં ચા માત્ર એક પીણું નથી, પરંતુ એક અતૂટ લાગણી અને સદીઓ જૂનો સાંસ્કૃતિક અનુભવ છે. વહેલી સવારની શરૂઆતથી લઈને સાંજની થાકેલી પળો સુધી, ચાના ચાહકો તેના વિના રહી શકતા નથી. જો કે, બદલાતા સમય સાથે હવે ભારતીયોનો ચા પીવાનો ટ્રેન્ડ અને સ્વાદ પણ ગ્લોબલ બની રહ્યો છે. આજકાલ લોકો ફિટ રહેવા માટે જાપાનની પરંપરાગત ગ્રીન ટી ‘માચા’ (Matcha) ને ખૂબ પસંદ કરી રહ્યા છે. ભારતમાં તેની વધતી લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આસામ હવે માચા ચાનું વ્યાપારી ધોરણે મોટા પાયે ઉત્પાદન કરનાર દેશનું સર્વપ્રથમ રાજ્ય બની ગયું છે, જેની સત્તાવાર જાહેરાત પોતે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કરી છે. માચા ટીને સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે તે દરેક વ્યક્તિના શરીર માટે અમૃત સમાન સાબિત થાય તે જરૂરી નથી. નિષ્ણાતોના મતે, આ ચાના અતિશય સેવનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થઈ શકે છે.
સામાન્ય ગ્રીન ટી કરતાં કેમ અલગ અને પાવરફુલ છે માચા?
કૈલાશ દીપક હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયેટિક્સ ડૉ. રિચા શર્મા આ અંગે વિગતવાર પ્રકાશ પાડતા જણાવે છે કે, સામાન્ય ગ્રીન ટી બનાવતી વખતે આપણે માત્ર તેના પાંદડાને પાણીમાં ઉકાળીને પાણી ગાળી લઈએ છીએ. પરંતુ માચા ટી બનાવવાની પદ્ધતિ તદ્દન અલગ છે. આમાં આખા ચાના પાંદડાને પીસીને બનાવેલા લીલા પાવડરનો સીધો ઉપયોગ થાય છે. આનો અર્થ એ થયો કે તમે આખી ચાના પાનનો પાવડર સીધો જ પી જાઓ છો. આ જ કારણે, સામાન્ય લીલી ચા અથવા કોફીની તુલનામાં માચામાં કેફીન (Caffeine) અને અન્ય સક્રિય વનસ્પતિ ઘટકોનું પ્રમાણ ખૂબ વધારે અને તીવ્ર હોય છે.
હૃદયના ધબકારા વધવા અને એસિડિટીની સમસ્યા
જો તમને સામાન્ય ચા કે કોફી પીધા પછી પેટમાં ભારે એસિડિટી થતી હોય, હાથ-પગમાં ધ્રુજારી આવતી હોય, અચાનક નર્વસનેસ કે ભારે બેચેનીનો અનુભવ થતો હોય, તો માચા ચા તમારા માટે બિલકુલ યોગ્ય નથી. તેમાં રહેલું ઉચ્ચ કેફીન સંવેદનશીલ લોકોના શરીરમાં ખૂબ જ ઝડપથી અસર કરે છે, જેના લીધે હૃદયના ધબકારા અચાનક વધી શકે છે. જો તમે તેનું સેવન કરવા જ માંગતા હોવ, તો તેની માત્રા એકદમ ઓછી રાખવી જોઈએ અને તેને હંમેશા સવારે અથવા બપોરના સમયે જ પીવી હિતાવહ છે.
અનિદ્રા એટલે કે ઊંઘ ન આવવાની આડઅસર
જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવાની સમસ્યા (Insomnia) હોય, તેમણે માચા ટી પીતી વખતે ભારે સાવધાની રાખવી જોઈએ. જો કે, માચામાં ‘એલાનિન’ નામનું તત્વ હોય છે, જે મગજની નસોને શાંત કરવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. પરંતુ તેની સાથે રહેલું કેફીન મગજને લાંબા સમય સુધી સક્રિય રાખે છે. તેથી, જો સાંજના સમયે અથવા રાત્રે સૂતા પહેલાં માચા ચા પીવામાં આવે, તો તે તમારી ઊંઘના ચક્રને સંપૂર્ણપણે બગાડી નાખે છે.
આયર્નનું શોષણ અટકાવે છે: એનિમિયાના દર્દીઓ સાવધાન
જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય, આયર્નનું પ્રમાણ ઓછું હોય અથવા તમે એનિમિયાથી પીડાતા હોવ, તો ભોજનની સાથે કે ભોજન કર્યા પછી તરત જ માચા ચા પીવાની ભૂલ ક્યારેય કરશો નહીં. માચામાં ‘કેટેચિન’ નામના ખૂબ જ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો હોય છે. નિયમિત ગ્રીન ટી કરતાં માચામાં તેની માત્રા ૧૩૭ ગણી વધુ હોઈ શકે છે. આ કેટેચિન આપણા પાચનતંત્રમાં ખોરાકમાંથી મળતા આયર્નને (લોહતત્વને) બરાબર શોષવા દેતા નથી. પરિણામે, તમે ગમે તેટલો સારો ખોરાક ખાઓ તો પણ શરીરમાં લોહી બનતું નથી.
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન વિશેષ કાળજી
આરોગ્ય નિષ્ણાતો ખાસ સલાહ આપે છે કે, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી માતાઓ તેમજ જે દર્દીઓને હૃદયની લયબદ્ધતાની તકલીફ (હાર્ટ રિધમ પ્રોબ્લેમ) હોય, તેમણે ડૉક્ટરની લેખિત સલાહ વિના રોજિંદા જીવનમાં માચા ચાનો ઉપયોગ શરૂ કરવો જોઈએ નહીં. આ ઉપરાંત જો તમે કોઈ ગંભીર બીમારી માટે નિયમિત દવાઓ લેતા હોવ, તો દવાની અસરો માચાના હાઈ-કેફીન સાથે પ્રતિક્રિયા કરી શકે છે. જ્યાં સુધી આ ચા તમારા શરીરના બંધારણને અનુકૂળ આવે ત્યાં સુધી જ તે હેલ્ધી દિનચર્યાનો ભાગ બની શકે છે, અંધાનુકરણ કરીને તેનું સેવન કરવું મોટું જોખમ નોતરી શકે છે.

