કેન્સરની મોંઘી દવાઓ અને ટેસ્ટિંગથી કંટાળ્યા છો? આ નવી ટેકનોલોજી બદલી શકે છે તમારું ભવિષ્ય!
આજના સમયમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કેન્સરના વધતા કેસો ચિંતાનો વિષય બન્યા છે. ભારત આજે કેન્સરના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં ત્રીજા ક્રમે છે, જે આંકડો અત્યંત ડરામણો છે. જોકે, આ ગંભીર બીમારી સામેની લડાઈમાં વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે એક નવી અને ક્રાંતિકારી આશાનું કિરણ દેખાયું છે. અત્યાર સુધી કેન્સરના મોટાભાગના દર્દીઓને એકસરખી કીમોથેરાપી અને દવાઓ આપવામાં આવતી હતી, પરંતુ હવે સારવારનો અભિગમ સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે. હવે ડોક્ટરો દર્દીના DNA માં થયેલા ફેરફારોને આધારે ચોક્કસ દવાઓ પસંદ કરી રહ્યા છે, જેને ‘પ્રિસિઝન મેડિસિન’ (Precision Medicine) કહેવામાં આવે છે.
DNA ફેરફાર ઓળખીને કેન્સરની સચોટ સારવાર
કેન્સરની સારવારમાં આ આધુનિક ટેકનોલોજીને ‘નેક્સ્ટ જેનરેશન સિક્વન્સિંગ’ (NGS – Next Generation Sequencing) તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રકારની અત્યાધુનિક જીનોમિક ટેસ્ટિંગ છે, જે કેન્સર પેદા કરતા DNA માં થયેલા ચોક્કસ ફેરફારોને પકડવામાં મદદ કરે છે.
પરંપરાગત રીતે, કેન્સરના પ્રકારને આધારે દવાઓ આપવામાં આવતી હતી, પણ ઘણીવાર તે દવા દરેક દર્દી પર અસરકારક રહેતી નહોતી. NGS ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે ડોક્ટરોએ હવે અંદાજે સારવાર કરવાની જરૂર નથી. દરેક દર્દીના શરીરના જીનેટિક બંધારણ મુજબ અલગ સારવાર નક્કી કરી શકાય છે, જેનાથી દર્દી બિનજરૂરી દવાઓની આડઅસરો (Side effects) થી બચી શકે છે અને સારવારની સફળતાની તકો અનેકગણી વધી જાય છે.
NGS ટેસ્ટિંગ શું છે અને તેનો ખર્ચ કેટલો?
આ તપાસની પ્રક્રિયા પણ ખૂબ જ વૈજ્ઞાનિક છે. NGS ટેસ્ટિંગ માટે દર્દીના લોહી, લાળ (Saliva), કેન્સરગ્રસ્ત પેશીઓ (Tissue) અથવા અન્ય બાયોલોજીકલ સેમ્પલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સેમ્પલ દ્વારા એક મશીન DNA નો ડિજિટલ નકશો તૈયાર કરે છે. આ નકશામાં ડોક્ટરો જીનમાં થયેલા અતિ સૂક્ષ્મ ફેરફારોને પણ સરળતાથી ઓળખી શકે છે. આનાથી બીમારીના આનુવંશિક કારણો અને કઈ દવા કયા દર્દી પર શ્રેષ્ઠ અસર કરશે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે.
જ્યારે ખર્ચની વાત કરીએ, તો આ તપાસ અત્યારે થોડી મોંઘી છે. ટેસ્ટના પ્રકાર અને જરૂરિયાત મુજબ તેનો ખર્ચ 20 હજારથી લઈને 4 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. ટેકનોલોજી નવી હોવાથી અને પ્રક્રિયા જટિલ હોવાથી તેનો ખર્ચ સામાન્ય લોકો માટે હજુ પણ એક પડકાર છે.
ભારતમાં કેન્સરનું નિદાન અને વિશિષ્ટ પડકારો
ભારત માટે એક સૌથી મોટી ચિંતા એ છે કે આપણા દેશમાં 80% કરતા વધુ કેન્સરના દર્દીઓની ઓળખ છેલ્લા સ્ટેજ (Stage IV) પર થાય છે. જ્યારે કેન્સર છેલ્લી અવસ્થામાં પહોંચે છે, ત્યારે સારવારની સફળતાનું પ્રમાણ ઘણું ઘટી જાય છે અને મૃત્યુનું જોખમ વધી જાય છે.
વધુમાં, ભારતીય દર્દીઓમાં કેન્સરનું સ્વરૂપ પશ્ચિમી દેશો કરતા સાવ અલગ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ફેફસાના કેન્સર માટે જવાબદાર એક ચોક્કસ જનીન ખામી પશ્ચિમી દેશોમાં 25% દર્દીઓમાં જોવા મળે છે, જ્યારે ભારતમાં તે માત્ર 10% દર્દીઓમાં જ હોય છે. બીજી તરફ, અન્ય એક જનીની ગડબડી ભારતમાં 35% કેન્સરના દર્દીઓમાં જોવા મળે છે, જે પશ્ચિમી દેશોમાં ફક્ત 10-15% જ હોય છે. આ સાબિત કરે છે કે પશ્ચિમી દેશોની સારવાર પદ્ધતિ હંમેશા ભારતીયો માટે એટલી અસરકારક ન પણ હોઈ શકે. તેથી જ NGS જેવી ટેકનોલોજી ભારત માટે ખૂબ જ અનિવાર્ય છે.
2030 સુધીમાં બદલાશે કેન્સર સારવારનું ચિત્ર
આ ટેકનોલોજીની વધતી માંગને કારણે નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં આ ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે. એક અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં ભારતમાં જીનેટિક ટેસ્ટિંગનું બજાર વાર્ષિક 27% ના દરે વૃદ્ધિ પામીને આશરે 14,155 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. કેન્સરની ‘પ્રિસિઝન મેડિસિન’ એટલે કે દરેક દર્દીને તેની જરૂરિયાત મુજબની દવા આપવાની પદ્ધતિનો વ્યાપ પાંચ ગણો વધી જશે.
સારવારનો મોંઘો ખર્ચ: સૌથી મોટી અડચણ
કેન્સર સામેની આ આધુનિક ટેકનોલોજી અને સારવારમાં સૌથી મોટો અવરોધ દવાઓની આસમાને પહોંચેલી કિંમતો છે. કેન્સરના નિદાન પછી દવાનો ખર્ચ એ દર્દીઓ અને તેમના પરિવારો માટે સૌથી મોટી ચિંતા છે. ઘણી એવી કેન્સરની દવાઓ છે જેની કિંમત એકથી દોઢ લાખ રૂપિયા સુધીની હોય છે. એટલું જ નહીં, જીવ બચાવવા માટે જરૂરી કેટલાક ઈન્જેક્શનની એક નાની શીશી પણ એક લાખ રૂપિયા કરતા મોંઘી હોય છે.

