ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવામાં મદદરૂપ: ગ્રીન ટીમાં રહેલું EGCG ઘટાડશે શુગરનું સ્તર
આજના આધુનિક યુગમાં ખોટા આહારવિહાર અને તણાવયુક્ત જીવનશૈલીના કારણે ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ સુગરની સમસ્યા ઝડપથી વધી રહી છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે આપણે દિવસ દરમિયાન શું ખાઈએ છીએ તેની સાથે સાથે રાત્રિભોજન (ડિનર) પછી આપણે કયા પીણાંનું સેવન કરીએ છીએ તે પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સામાન્ય રીતે રાત્રે મીઠા કે આલ્કોહોલિક પીણાં પીવાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધી જાય છે. પરંતુ, આહારશાસ્ત્રીઓ (Dietitians) ના જણાવ્યા મુજબ, જો તમે રાત્રિભોજન પછી શુગર-ફ્રી ડીકેફ ગ્રીન ટી (Decaf Green Tea) નો ૧ કપ પીવાની ટેવ પાડો છો, તો તેનાથી લોહીમાં ગ્લુકોઝનું સ્તર મધ્યમ અને નિયંત્રિત રાખવામાં અદ્ભુત મદદ મળે છે.
કેમ ખાસ છે ‘ડીકેફ’ ગ્રીન ટી?
સામાન્ય ગ્રીન ટીમાં કેફીન હોય છે, જે રાત્રે પીવાથી કેટલાક લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. પરંતુ ‘ડીકેફ’ એટલે કે ડેકેફિનેટેડ ગ્રીન ટીમાંથી પ્રોસેસ દ્વારા કેફીન દૂર કરવામાં આવે છે.
આથી, રાત્રે સૂતા પહેલાં તેને પીવાથી ઊંઘ બગડવાનો ભય રહેતો નથી અને ગ્રીન ટીના તમામ પોષક તત્વોનો લાભ શરીરને પૂરેપૂરો મળે છે. ડીકેફ ગ્રીન ટી પીવાથી ફાસ્ટિંગ બ્લડ સુગર અને લાંબા ગાળાના શુગર ઈન્ડેક્સ એટલે કે HbA1c ને ઘટાડવામાં મદદ મળે છે.
૧. ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો
ગ્રીન ટીમાં ‘કેટેચિન્સ’ નામના શક્તિશાળી પ્લાન્ટ કમ્પાઉન્ડ્સ અને એન્ટીઑકિસડન્ટ્સ હોય છે, જેમાં મુખ્યત્વે ‘EGCG’ (Epigallocatechin Gallate) નો સમાવેશ થાય છે.
આ EGCG કોષોમાં રહેલા ઓક્સિડેટીવ તણાવને ઘટાડે છે અને શરીરમાં ઇન્સ્યુલિન સિગ્નલિંગને સુધારે છે. જ્યારે શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે, ત્યારે સ્વાદુપિંડ (Pancreas) ને ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરીને પણ લોહીમાં શર્કરાનું યોગ્ય સંતુલન જાળવવામાં સરળતા રહે છે. આ ઉપરાંત, તે ઇન્સ્યુલિન બનાવતા બીટા કોષોને સોજા અને નુકસાન સામે રક્ષણ આપે છે.
૨. કાર્બોહાઇડ્રેટ્સનું શોષણ ધીમું કરે છે
જ્યારે આપણે રાત્રિભોજનમાં રોટલી, ભાત કે અન્ય કાર્બોહાઇડ્રેટ્સ ખાઈએ છીએ, ત્યારે પાચન ઉત્સેચકો તેને ઝડપથી ગ્લુકોઝમાં રૂપાંતરિત કરી દે છે.
ગ્રીન ટીમાં રહેલા ઘટકો આ પાચન ઉત્સેચકોની ઝડપી ક્રિયાને અટકાવે છે. પરિણામે, ગ્લુકોઝ એકસાથે લોહીમાં ભળવાને બદલે ધીમે-ધીમે શોષાય છે, જેનાથી ડિનર પછી અચાનક બ્લડ સુગર વધી જવાની (Post-prandial Spike) સમસ્યા અટકે છે.
શુગર કંટ્રોલ માટે ડિનર પછીની ૪ હેલ્ધી આદતો
આહારશાસ્ત્રીઓ સ્પષ્ટ કરે છે કે માત્ર એક કપ ગ્રીન ટી પીવાથી ડાયાબિટીસ સંપૂર્ણ કાબૂમાં આવી શકતો નથી. તેની સાથે રાત્રિના રૂટિનમાં નીચે મુજબની ૪ સ્વસ્થ આદતો ઉમેરવી જરૂરી છે:
-
ડિનર પછી હળવું વોકિંગ: રાત્રિભોજન પછી તરત સોવાને બદલે ૧૦ થી ૧૫ મિનિટ હળવી સ્પીડે ચાલવાની ટેવ પાડો. આનાથી શરીરના સ્નાયુઓ લોહીમાંથી ગ્લુકોઝનો સીધો ઉપયોગ કરવા લાગશે.
-
ખોરાક ખાવાનો સાચો ક્રમ: જમતી વખતે પ્લેટમાં રહેલી વાનગીઓનો ક્રમ જાળવો. સૌથી પહેલાં સલાડ કે સ્ટાર્ચ વગરના શાકભાજી ખાઓ, ત્યારબાદ પ્રોટીન અને ફેટ લો, અને છેલ્લે કાર્બોહાઇડ્રેટ્સ (રોટલી કે ભાત) ખાઓ. આ પદ્ધતિથી પાચન ધીમું થાય છે અને સુગર લેવલ જાળવવામાં મદદ મળે છે.
-
વહેલું ડિનર કરો: રાત્રિનું ભોજન સૂવાના સમયના ઓછામાં ઓછા ૨ કલાક પહેલાં પૂર્ણ કરી લેવું જોઈએ, જેથી પાચનક્રિયા વ્યવસ્થિત થઈ શકે.
-
તણાવમુક્ત રાત: રાત્રે પ્રાણાયામ, ધ્યાન અથવા હળવું મ્યુઝિક સાંભળીને માનસિક તણાવ ઓછો કરો. શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ‘કોર્ટિસોલ’ વધવાથી પણ બ્લડ સુગરનું સ્તર અચાનક વધી જતું હોય છે.

