ગુજરાતનું એવું રહસ્ય જેની પર દુશ્મન દેશોની છે નજર! શું તમે જાણો છો આ વિશાળ ફેક્ટરી વિશે?
ભારતના ઔદ્યોગિક નકશા પર જ્યારે પણ કોઈ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વાત આવે, ત્યારે ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલી ‘રિલાયન્સ જામનગર રિફાઇનરી’નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. આ માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ આધુનિક ભારતની ઔદ્યોગિક તાકાતનું પ્રતીક છે. વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ રિફાઇનરી વિશ્વની સૌથી મોટી અને સૌથી જટિલ સિંગલ-લોકેશન રિફાઇનરી તરીકે જાણીતી છે. તેના વિશેની આ રસપ્રદ સફર અને તેની વિશેષતાઓ વિશે આજે આપણે વિગતે જાણીશું.
એક સ્વપ્ન જે સાકાર થયું
જામનગર રિફાઇનરીનો ઈતિહાસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીના વિઝન સાથે જોડાયેલો છે. ધીરુભાઈ હંમેશા માનતા હતા કે ભારતે પેટ્રોલિયમ ઉત્પાદનો અને પેટ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું જોઈએ. આ સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવાની જવાબદારી તેમના પુત્ર મુકેશ અંબાણીને સોંપવામાં આવી હતી.
વર્ષ 1999માં જ્યારે આ રિફાઇનરીનું સંચાલન શરૂ થયું, ત્યારે સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું હતું. માત્ર 30 મહિનાના વિક્રમી સમયમાં 7,500 એકરથી વધુ જમીન પર આ વિશાળ પ્રોજેક્ટને ઊભો કરવામાં આવ્યો હતો. તે સમયે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 3.4 બિલિયન ડોલર (તે સમયના મૂલ્ય મુજબ લગભગ 30,000 કરોડ રૂપિયા)નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે આ જામનગર રિફાઇનરી મુકેશ અંબાણીની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સફળતાનો સૌથી મોટો આધારસ્તંભ છે.
અદભૂત ક્ષમતા અને ટેકનોલોજી
જામનગર રિફાઇનરીની કામગીરી કોઈ ચમત્કારથી ઓછી નથી. અહીં દૈનિક ધોરણે 1.4 મિલિયન બેરલ (આશરે 22.26 કરોડ લિટર) ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. આ આંકડો તેને વિશ્વની સૌથી મોટી સિંગલ-સાઈટ રિફાઇનરી બનાવે છે.
પરંતુ, તેની ખરી તાકાત તેની ‘કોમ્પ્લેક્સિટી’માં રહેલી છે. આ રિફાઇનરીનો ‘કોમ્પ્લેક્સિટી ઇન્ડેક્સ’ 21.1 છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આનો સીધો અર્થ એ છે કે આ પ્લાન્ટ ગમે તેટલા હલકી ગુણવત્તાવાળા કે ભારે ક્રૂડ ઓઈલને પ્રોસેસ કરીને તેમાંથી વિશ્વસ્તરીય પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુલ (જેટ ફ્યુઅલ) જેવી ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ બનાવવા માટે સક્ષમ છે.
વિશ્વનું એકમાત્ર રિફાઇનિંગ હબ
તમને જાણીને નવાઈ લાગશે કે જામનગર રિફાઇનરીએ અત્યાર સુધીમાં વિશ્વભરમાં ઉત્પન્ન થતા ક્રૂડ ઓઈલના 216થી વધુ અલગ-અલગ ગ્રેડ્સને પ્રોસેસ કર્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર આ વિશ્વની એકમાત્ર રિફાઇનરી છે. સામાન્ય રીતે રિફાઇનરીઓ ચોક્કસ પ્રકારના ક્રૂડ પર જ કામ કરતી હોય છે, પરંતુ જામનગરની સુવિધામાં એવી અદ્યતન ટેકનોલોજી છે કે તે દુનિયાના સૌથી ભારે ક્રૂડને પણ રિફાઇન કરી શકે છે.
આ સંકુલમાં વિશ્વની કેટલીક સૌથી વિશાળ ઔદ્યોગિક એકમો સ્થાપિત છે, જેમાં મુખ્યત્વે:
-
ફ્લુઇડાઇઝ્ડ કેટાલિટિક ક્રેકર (FCC): જે ભારે તેલને મૂલ્યવાન ઉત્પાદનોમાં ફેરવે છે.
-
કોકર અને આલ્કાયલેશન યુનિટ્સ: જે બળતણની ગુણવત્તા સુધારે છે.
-
પેટકોક ગેસિફિકેશન પ્લાન્ટ: જે કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની અત્યાધુનિક ટેકનોલોજી છે.
-
પેરાઝાયલીન અને પોલીપ્રોપીલીન યુનિટ્સ: જે પ્લાસ્ટિક અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે.
ભારતની આર્થિક કરોડરજ્જુ
જામનગર રિફાઇનરી માત્ર તેલ શુદ્ધ કરવાનું કામ નથી કરતી, પરંતુ તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે એક મોટા ‘કેશ જનરેટર’ તરીકે પણ કામ કરે છે. ભારતની નિકાસમાં આ રિફાઇનરીનો ફાળો ખૂબ જ મોટો છે. અહીંથી તૈયાર થતા પેટ્રોલિયમ ઉત્પાદનો દુનિયાના અનેક દેશોમાં જાય છે. ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં અને દેશના વિદેશી હૂંડિયામણની કમાણીમાં આ પ્રોજેક્ટનું યોગદાન અનન્ય છે.

