પરિવારો વેરવિખેર થઈ જશે! અમેરિકાના એક જ નિર્ણયથી લાખો ભારતીય IT પ્રોફેશનલ્સની ઊંઘ હરામ
અમેરિકા જઈને વસવાનું અને ત્યાં વૈશ્વિક ટેક કંપનીઓમાં કામ કરવાનું સપનું જોતા લાખો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક અત્યંત ચિંતાજનક અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ (US) સરકારના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (Department of Homeland Security – DHS) દ્વારા એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત એચ-૧બી (H-1B) વિઝા ધારકોને નોકરી છૂટી ગયા પછી મળતો ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ (Grace Period) સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના છે.
નિષ્ણાતોના મતે, જો આ પ્રસ્તાવ કાયદો બનશે તો તેનાથી અમેરિકામાં વસતા લાખો વિદેશી કુશળ કામદારો, ખાસ કરીને ભારતીય આઇટી (IT) અને એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સ પર મોટું સંકટ આવી જશે. આના કારણે લોકોએ રાતોરાત પોતાનો દેશ છોડવો પડશે, પરિવારો વેરવિખેર થઈ જશે અને અમેરિકાને તેની આર્થિક તેમજ ટેક્નોલોજીકલ લીડરશિપ જાળવી રાખવામાં મોટું નુકસાન વેઠવું પડશે. ચાલો આ સમગ્ર વિવાદ, તેની અસરો અને નિષ્ણાતોના અભિપ્રાય વિશે વિગતવાર સમજીએ.
શું છે આ ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ અને નવો પ્રસ્તાવ?
વર્તમાન અમેરિકન ઇમિગ્રેશન કાયદા અનુસાર, જો કોઈ એચ-૧બી વિઝા ધારક કર્મચારીની નોકરી કોઈ કારણસર છૂટી જાય (લે-ઓફ અથવા ટર્મિનેશન થાય), તો તેને અમેરિકામાં કાયદેસર રીતે રહેવા માટે ૬૦ દિવસનો સમય મળે છે. આ ૬૦ દિવસ દરમિયાન તે કર્મચારી નવી નોકરી શોધી શકે છે, વિઝા ટ્રાન્સફર માટે નવો સ્પોન્સર શોધી શકે છે, પોતાનું વિઝા સ્ટેટસ બદલી શકે છે અથવા તો વતન પરત ફરવા માટેની તૈયારીઓ કરી શકે છે.
પરંતુ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના નવા પ્રસ્તાવ અનુસાર, આ ૬૦ દિવસની રાહતને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય કે જે દિવસે કર્મચારીની નોકરી જશે, તે જ દિવસથી તેનો અમેરિકામાં રહેવાનો કાયદેસરનો હક પણ સમાપ્ત થઈ જશે. તેને નવો સ્પોન્સર શોધવાનો કે પોતાનો સામાન સમેટવાનો પણ સમય મળશે નહીં.
સૌથી મોટો ફટકો ભારતીયોને કેમ પડશે?
આ નીતિની સૌથી ઘાતક અસર ભારતીય નાગરિકો પર પડવાની છે. તેનું કારણ એ છે કે અમેરિકાના એચ-૧બી વિઝા મેળવવામાં ભારતીયો સૌથી મોખરે છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪ માં જેટલા પણ સફળ એચ-૧બી વિઝા મંજૂર થયા, તેમાંથી ૭૧ ટકા જેટલો જંગી હિસ્સો માત્ર ભારતીય નાગરિકોનો હતો.
અમેરિકાના સિલિકોન વેલીથી લઈને ન્યૂયોર્ક સુધીની મોટી ટેક કંપનીઓ, હેલ્થકેર સેક્ટર અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં લાખો ભારતીયો આ વિઝા પર કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ગ્રેસ પિરિયડ હટાવવાથી હજારો કાયદાનું પાલન કરતા ભારતીય પરિવારો રાતોરાત કાનૂની સંકટમાં આવી જશે.
ભૂતપૂર્વ વ્હાઇટ હાઉસ સલાહકાર અજય જૈન ભુટોરિયાનો ઉગ્ર વિરોધ
વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ એડવાઇઝર અજય જૈન ભુટોરિયાએ સરકારના આ પ્રસ્તાવની આકરી નિંદા કરી છે. તેમણે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “હાલના ૬૦ દિવસના ગ્રેસ પિરિયડને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ એ એક અત્યંત પછાત (Regression) પગલું છે. આ નીતિ તે કાયદેસરના ઇમિગ્રન્ટ્સને સીધું નુકસાન પહોંચાડશે જેમણે અમેરિકાને ટેક્નોલોજી અને આર્થિક ક્ષેત્રે દુનિયાનો તાજ પહેરાવવામાં મોટું યોગદાન આપ્યું છે.”
ભુટોરિયાએ વધુમાં ઉમેર્યું કે, “આ પ્રસ્તાવ અમાનવીય અને વ્યવહારિક દ્રષ્ટિએ અશક્ય છે. જ્યારે કોઈ કર્મચારીની અચાનક નોકરી જાય છે, ત્યારે ૬૦ દિવસનો સમય પણ ખૂબ ઓછો પડે છે. આ પ્રોટેક્શન પણ છીનવી લેવાથી હજારો નિર્દોષ લોકોને પોતાના જીવનના વર્ષોની મહેનતને સમેટવા માટે ઝીરો (૦) સમય મળશે. આનાથી પરિવારોમાં ભારે માનસિક તણાવ પેદા થશે, આર્થિક બરબાદી આવશે અને અમેરિકામાં જન્મેલા કે મોટા થયેલા બાળકોના શિક્ષણ પર પણ બ્રેક લાગી જશે.”
તમને જણાવી દઈએ કે, જ્યારે ભુટોરિયા રાષ્ટ્રપતિ જો બાઈડેનના સલાહકાર હતા, ત્યારે તેમણે આ ગ્રેસ પિરિયડને ૬૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરવાની ભલામણ કરી હતી. કારણ કે ટેકનિકલ ઇન્ટરવ્યુના રાઉન્ડ્સ અને વિઝા ટ્રાન્સફરના કાગળિયા પૂરા થવામાં સામાન્ય રીતે મહિનાઓનો સમય લાગી જતો હોય છે. તેમણે સરકારને આ ક્રૂર પ્રસ્તાવ પાછો ખેંચવા અને માનવતાના ધોરણે ૧૮૦ દિવસનો ગ્રેસ પિરિયડ આપવા અપીલ કરી છે.
અમેરિકન કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ પર શું થશે અસર?
આ પ્રસ્તાવ માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ અમેરિકાના પોતાના બિઝનેસ અને ખાસ કરીને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. અમેરિકાના જાણીતા ઇમિગ્રેશન એટર્ની એડ્રિયન પાંડેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તેમના જણાવ્યા મુજબ, અમેરિકામાં ઘણા એવા પ્રતિભાશાળી કર્મચારીઓ હોય છે જેઓ પોતાની કોર્પોરેટ નોકરી છોડીને નવું સ્ટાર્ટ-અપ (નવો બિઝનેસ) શરૂ કરવા માંગતા હોય છે. તેઓ આ ૬૦ દિવસના ગ્રેસ પિરિયડનો ઉપયોગ કરીને પોતાની નવી કંપની માટે વિઝા સ્ટેટસ ચેન્જ કરવાની અરજી કરતા હોય છે. જો આ સમયગાળો જ નહીં રહે, તો કોઈ કર્મચારી પોતાની વર્તમાન કંપની છોડવાનું જોખમ નહીં લે.
વળી, આનાથી એક નવું નુકસાન એ થશે કે કર્મચારીઓ પોતાની નવી નોકરી પાકી ન થાય અથવા નવો વિઝા ટ્રાન્સફર અપ્રૂવ ન થાય ત્યાં સુધી પોતાની વર્તમાન કંપનીને રાજીનામાની ભણક પણ લાગવા નહીં દે. પરિણામે, અમેરિકન એમ્પ્લોયરોએ અચાનક અને ખૂબ જ ટૂંકી નોટિસ પર પોતાના મહત્વના ટીમના સભ્યોને ગુમાવવા પડશે, જે બિઝનેસ ઓપરેશન્સને ખોરવી નાખશે.
સમુદાયોને એક થવા હાકલ
આ નીતિ હજુ સુધી સત્તાવાર કાયદો બની નથી, પરંતુ તે દરખાસ્તના તબક્કામાં છે. અજય જૈન ભુટોરિયાએ દક્ષિણ એશિયાઈ (સાઉથ એશિયન) સામુદાયિક સંગઠનો, બિઝનેસ લીડર્સ અને હિમાયતી જૂથોને આહવાન કર્યું છે કે, જ્યારે આ નિયમ સત્તાવાર રીતે ‘ફેડરલ રજિસ્ટર’ માં પબ્લિક કોમેન્ટ્સ (જાહેર સૂચનો) માટે મૂકવામાં આવે, ત્યારે સૌએ સાથે મળીને તેનો સખત વિરોધ નોંધાવવો જોઈએ, જેથી વોશિંગ્ટનમાં બેઠેલી સરકાર સુધી સામાન્ય લોકોનો અવાજ અને આ કાયદાના ભયાનક પરિણામોની સાચી હકીકત પહોંચાડી શકાય.

