જેને તમે સામાન્ય એસિડિટી કે થાક સમજો છો, તે હૃદયરોગનો મોટો સંકેત હોઈ શકે! ડૉક્ટરની ચોંકાવનારી ચેતવણી
હૃદયરોગ કે બાયપાસ સર્જરી હવે માત્ર મોટી ઉંમરના કે વૃદ્ધ લોકો સુધી સીમિત ચર્ચાનો વિષય નથી રહ્યો. આજે પરિસ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે દેશના નામાંકિત કાર્ડિયોથોરેસિક સર્જનો પાસે દરરોજ એવા અનેક યુવાનો આવી રહ્યા છે, જેઓ ગંભીર ‘કોરોનરી આર્ટેરી ડીસીઝ’ (હૃદયની ધમનીઓ સંબંધિત રોગ) થી પીડાતા હોય છે. દુઃખની વાત એ છે કે આમાંના મોટાભાગના યુવાનો શ્વાસ ચડવો, અસામાન્ય થાક કે છાતીમાં થતી અગવડતાને સામાન્ય એસિડિટી, માનસિક તણાવ કે દોડધામભરી જિંદગીની થાક ગણીને સતત નજરઅંદાજ કરતા રહે છે.
યશોદા હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક અને મિનિમલી ઇનવેસિવ સર્જન ડૉ. વિશાલ ખાંતે જણાવે છે કે, નિદાન થયા પછી દર્દીઓનો સૌથી પહેલો સવાલ એ જ હોય છે: “ડૉક્ટર, મને ખબર પણ ન પડી અને આટલી નાની ઉંમરે મારો રોગ આટલો બધો કેવી રીતે વધી ગયો?”
ડૉ. ખાંતે આગળ ઉમેરે છે, “મારી સામે આવીને બેસતા મોટાભાગના દર્દીઓ એવા હોય છે જેઓ પોતાની કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, ના નાના બાળકોનું પાલન-પોષણ કરી રહ્યા છે અને ઘરની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. હૃદયરોગ આટલી નાની ઉંમરે તેમના જીવનમાં પ્રવેશી જશે એવી કલ્પના પણ તેમણે ક્યારેય કરી હોતી નથી.”
જીવન સામાન્ય ચાલતું હોય ત્યારે પણ અંદરથી ઘર કરી શકે છે રોગ
હૃદયની ધમનીઓનો રોગ (Coronary Artery Disease) ક્યારેય અચાનક કે ધડાકાભેર આવતો નથી. હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓની અંદરના ભાગમાં વર્ષો સુધી ધીમે ધીમે ક્ષાર કે ચરબી (Plaque) જમા થતી રહે છે, જેના કારણે લોહીનું ભ્રમણ કરતી નળીઓ સાંકડી થતી જાય છે. જ્યાં સુધી તેના લક્ષણો બહાર દેખાવાના શરૂ થાય, ત્યાં સુધીમાં હૃદયને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે.
આ સમગ્ર પ્રક્રિયામાં મધુમેહ એટલે કે ડાયાબિટીસ સૌથી મોટો ખતરનાક પરિબળ સાબિત થાય છે. ડૉ. ખાંતે આ અંગે સમજાવતા કહે છે કે, “ડાયાબિટીસ એક એવો રોગ છે જે હૃદયની લોહીની નળીઓને અંદરથી નુકસાન પહોંચાડે છે, અને દર્દીને તેનો ખ્યાલ પણ આવતો નથી. અમારી પાસે આવતા કેટલાય દર્દીઓને તો હૃદયની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ થયા પછી જ ખબર પડે છે કે તેઓ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.”
આ ઉપરાંત, પરિવારમાં હૃદયરોગનો ઇતિહાસ (Family History), હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, ધૂમ્રપાન (Smoking), શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને વધી રહેલું વજન – આ તમામ પરિબળો હૃદયરોગના જોખમને અનેકગણું વધારી દે છે. જ્યારે માણસ સામાન્ય રીતે પોતાની નોકરી-ધંધો કરી શકતો હોય અને તેને શારીરિક રીતે કોઈ મોટી તકલીફ ન દેખાતી હોય, ત્યારે આ તમામ ખતરાના સંકેતો તેને ખૂબ સામાન્ય લાગે છે અને આ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.
દર્દીને ક્યારે પડે છે ‘બાયપાસ સર્જરી’ની જરૂર?
હૃદયની નળીઓમાં બ્લોકેજ હોવાનો અર્થ એવો નથી હોતો કે દરેક દર્દીને બાયપાસ સર્જરી જ કરાવવી પડે. બ્લોકેજ કેટલા છે, કઈ જગ્યાએ છે, તેની ગંભીરતા કેટલી છે, હૃદયની કાર્યક્ષમતા કેવી છે અને દર્દીની એકંદર આરોગ્ય સ્થિતિ કેવી છે – આ બધી બાબતો ધ્યાનમાં રાખીને સારવાર નક્કી કરવામાં આવે છે. આમાં દવાઓ, એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ (Stenting), બાયપાસ સર્જરી અથવા આ બધી પદ્ધતિઓનો સમન્વય સામેલ હોઈ શકે છે.
જોકે, જ્યારે હૃદયની એક કરતાં વધુ ધમનીઓ ગંભીર રીતે બ્લોક થઈ ગઈ હોય અથવા ભૂતકાળમાં કરાવાયેલું સ્ટેન્ટિંગ સફળ ન રહ્યું હોય, ત્યારે બાયપાસ સર્જરી જ સૌથી સલામત અને શ્રેષ્ઠ વિકલ્પ બને છે.
ડૉ. ખાંતે જણાવે છે કે, “જ્યારે હૃદયની મુખ્ય નળીઓ વધુ પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત હોય અથવા અગાઉ મુકાવેલા સ્ટેન્ટથી ઈચ્છિત પરિણામ ન મળ્યું હોય, ત્યારે બાયપાસ સર્જરી કરવી પડે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં, જ્યાં લોહીની નળીઓનો મોટો ભાગ પ્રભાવિત થયેલો હોય છે, ત્યાં બાયપાસ સર્જરી દર્દીને નવું જીવન આપે છે.”
એ લક્ષણો જેને લોકો સતત નજરઅંદાજ કરવાની ભૂલ કરે છે
સર્જરીના ટેબલ સુધી પહોંચતા પહેલાં દર્દી કઈ ભૂલો કરે છે, તે સમજવું સૌથી વધુ જરૂરી છે. આપણું શરીર આપણને સતત કોઈક સંકેતો આપતું હોય છે, પરંતુ આપણે તેને ઓળખી શકતા નથી:
-
દાદર ચડતી વખતે અસામાન્ય થાક લાગવો.
-
અગાઉ સરળતાથી કરી શકાતા રોજના કામો કરતી વખતે શ્વાસ ચડવો.
-
વગર કારણ કે અચાનક ખૂબ પરસેવો થવો.
-
છાતીમાં, ખભામાં, હાથમાં કે જડબાના ભાગે અસ્વસ્થતા કે દુખાવો ફેલાવો.
દરેક વખતે હૃદયરોગનો હુમલો ફિલ્મોમાં બતાવવામાં આવે છે તેમ છાતીમાં અસહ્ય દુખાવા સાથે જ આવે તે જરૂરી નથી.
ડૉ. ખાંતે ખાસ કરીને મહિલાઓના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “મહિલા દર્દીઓ અસામાન્ય થાક, શ્વાસ ચડવો કે અસ્વસ્થતા જેવા લક્ષણોને હંમેશા એસિડિટી કે ઘરના કામના થાક તરીકે ગણાવીને કાઢી નાખે છે. હૃદયની સમસ્યાઓ હંમેશા આપણે જે ધારણાઓ રાખીએ છીએ તેવી રીતે જ સામે નથી આવતી. લક્ષણોને ઓળખવામાં થતો આ વિલંબ જ ઘણીવાર દર્દીને ગંભીર પરિસ્થિતિમાં મૂકી દે છે.”

