માત્ર સુગર ચેક કરવું પૂરતું નથી! ડાયાબિટીસના દર્દીઓએ કરાવવા પડશે આ મહત્વના ટેસ્ટ
વર્તમાન સમયમાં ડાયાબિટીસ એ માત્ર ઉંમરલાયક લોકો સુધી સીમિત ન રહેતા યુવાનોમાં પણ ઝડપથી ફેલાતો એક ગંભીર જીવનશૈલી સંબંધિત રોગ બની ગયો છે. ડાયાબિટીસ પોતે સીધી રીતે કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બનતો નથી, પરંતુ જો તેને લાંબા સમય સુધી અવગણવામાં આવે અથવા તેની સારવારમાં બેદરકારી દાખવવામાં આવે, તો તે શરીરના મહત્વપૂર્ણ અંગોને અંદરથી પોલા કરી દે છે. આ પરિસ્થિતિ આગળ જતાં અત્યંત ગંભીર અને જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે. આજના દોડધામભર્યા યુગમાં અનિયમિત ખાનપાન, પૂરતી ઊંઘનો અભાવ, વજનમાં સતત વધારો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ ડાયાબિટીસ ટાઈપ-૨ ના મુખ્ય કારણો બની રહ્યા છે.
કઈ પરિસ્થિતિઓમાં ડાયાબિટીસ બને છે જોખમી?
ફરીદાબાદ સ્થિત આંતરિક દવા નિર્દેશક ડૉ. રાજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર, જ્યારે દર્દીનું બ્લડ સુગર લેવલ લાંબા સમય સુધી અનિયંત્રિત રહે છે, અથવા જ્યારે સુગરમાં અચાનક મોટો ઉછાળો કે ઘટાડો આવે છે, ત્યારે સ્થિતિ ચિંતાજનક બની જાય છે. લોહીમાં સતત ઊંચું સુગરનું પ્રમાણ (ક્રોનિક હાઈ બ્લડ સુગર) હૃદય, કિડની, આંખો, ચેતાતંત્ર અને રક્તવાહિનીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. આના કારણે દર્દીઓમાં હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી જીવલેણ જટિલતાઓનું જોખમ અનેકગણું વધી જાય છે.
વધુમાં, સુગર લેવલ ખૂબ વધી જવાથી શરીર આંતરિક કટોકટીનો સામનો કરે છે, જેને તબીબી ભાષામાં ડાયાબિટીક કીટોએસિડોસિસ (DKA) અને હાઇપરઓસ્મોલર હાઇપરગ્લાયકેમિક સ્ટેટ (HHS) તરીકે ઓળખવામાં આવે છે. આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં દર્દીને વધુ પડતી તરસ લાગવી, વારંવાર પેશાબ થવો, ભારે નબળાઈ, સતત ઉલટી થવી, પેટમાં અસહ્ય દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતી ઘેન કે ઊંઘ આવવી અને માનસિક મૂંઝવણ અનુભવાવી જેવા લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને લાંબા સમયથી ટાઈપ-૨ ડાયાબિટીસથી પીડાતા અને ડીહાઈડ્રેશન ધરાવતા દર્દીઓમાં HHS વિકસવાનું જોખમ વધુ રહે છે.
માત્ર સુગર ચેક કરવું પૂરતું નથી: અન્ય અંગોની તપાસ પણ અનિવાર્ય
ડાયાબિટીસના દર્દીઓ અવારનવાર માત્ર એક વાર સુગર માપીને સંતોષ માની લેતા હોય છે, પરંતુ તબીબોના મતે આ અભિગમ ખોટો છે. સુગર નિયંત્રણની સાથે સાથે નિયમિત દવાઓ લેવી અને સમયાંતરે ‘HbA1c’ ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે, જેનાથી છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ સુગર લેવલનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત, કિડની ફંક્શન ટેસ્ટ, આંખોની તપાસ અને હૃદયની નિયમિત ચકાસણી પણ કરાવવી જોઈએ. જ્યારે દર્દીને અન્ય કોઈ ચેપ, તાવ, ઉલટી કે ખોરાકની અછત જેવી બીમારી થાય ત્યારે બ્લડ સુગરનું સતત નિરીક્ષણ કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
કટોકટીના લક્ષણો ઓળખો અને તરત ડોક્ટરનો સંપર્ક કરો
જો દર્દીમાં અતિશય અશક્તિ, સતત ઉલટી, શ્વાસ ચડવો, આંખે અંધારા આવવા, બેભાન થવું કે વધુ પડતી ઘેન જેવી સ્થિતિ સર્જાય, તો તેને સામાન્ય થાક ગણીને ઘરમાં બેસી રહેવું ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં સહેજ પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ધોરણે નજીકના તબીબ કે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. સમયસરનું નિદાન અને યોગ્ય સારવાર જ ડાયાબિટીસના દર્દીનું જીવન સુરક્ષિત રાખી શકે છે.

