દેશભરમાં કોરોના વાયરસની મહામારીના હાહાકાર વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચારની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દેશમાં ચોમાસુ વહેલુ બેસી જશે, જેમાં 16 મેની આસપાસ ચક્રવાતી તોફાનની સંભાવના જોવા મળી રહી છે.
આમ દેશમાં 20 મેની આસપાસ અંદામાન-નિકોબાર પહોંચતુ ચોમાસુ એક અઠવાડિયું વહેલુ આવવાની સંભાવના છે. તો 1 જુનની આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે. જોકે, ગુજરાતમાં ત્રણથી સાત દિવસ ચોમાસું મોડુ પહોંચી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં દક્ષિણ આંદામાન સાગર નજીક બુધવારે લો પ્રેશર નોંધાયું હતું. તેના કારણે આંદામાન-નિકોબાર ટાપુ પર ૧૬ મે સાંજ સુધીમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. કેરળ ખાતે પણ વહેલું ચોમાસું બેસશે કે કેમ તે અંગે પણ હવામાન વિભાગ ૧૫મેના રોજ આગાહી કરશે.
ખાનગી હવામાન કંપની આઇબીએમે કરેલી આગાહી મુજબ કેરળમાં ૩૧મેના રોજ ચોમાસાનું આગમન થઇ જશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં દેશના કેટલાંક રાજયોમાં આંધી-તોફાન સાથે વરસાદની શક્યતા છે. જેમાં કેરળ, તામિલનાડુ, પોંડીચેરી, દક્ષિણ કર્ણાટક, લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશના કેટલાંક ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડુ બેસી શકે છે.