કોરોના કહેર વચ્ચે ક્રિકેટ રસિયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે 2021નો ટી-20 વર્લ્ડ કપ ભારતમાં રમાશે. શુક્રવારના ભારતીય ક્રિકેટ બૉર્ડ અને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તેમજ આઈસીસીની બેઠક થઈ જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ તો 2022માં ઑસ્ટ્રેલિયામાં ટી-20 વિશ્વ કપ રમાશે.ઉલ્લેખનીય છે કે 18 ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું હતુ, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આને સ્થગિત કરવામાં આવ્યો છે, જેનાથી ઇન્ડિયન પ્રીમિયર લીગનો રસ્તો સાફ થયો છે, જે દુબઈમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થશે.
2021નો ટી-20 અને 2023નો વનડે વર્લ્ડ કપ ભારતમાં થવાનું નક્કી થઈ ગયું છે, જ્યારે 2022નો ટી-20 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાશે.બીજી તરફ આઈસીસીએ મહિલા વનડે વર્લ્ડ કપ 2021ને રદ્દ કરી દીધો છે.
ત્યારે હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝીલેન્ડમાં રમાશે. ભારતમાં થનારો ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરના નક્કી કરવામાં આવી છે. ઑસ્ટ્રેલિયામાં થનારો ટી-20 વર્લ્ડ 2022 ઑક્ટોબર-નવેમ્બરમાં રમાશે, જ્યારે ફાઇનલ 13 નવેમ્બરના થશે.