ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને, ટેલિકોમ કંપનીઓ એરટેલ, જિયો, બીએસએનએલ અને વીએ ઇમરજન્સી પ્રોટોકોલ ચાલુ કર્યો છે. કટોકટી દરમિયાન સરહદી વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી જાળવવા માટે ટેલિકોમ કંપનીઓએ આ પ્રોટોકોલ ચાલુ કર્યો છે. રિપોર્ટ અનુસાર, બધી ટેલિકોમ કંપનીઓએ રાજ્ય અને જિલ્લા સ્તરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર્સ (EOCs) સક્રિય કર્યા છે.
તાજેતરમાં, ટેલિકોમ વિભાગના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે કટોકટી દરમિયાન બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન (BTS) ના સુગમ સંચાલન અંગે ટેલિકોમ ઓપરેટરોને આદેશો જારી કર્યા હતા. ટેલિકોમ કંપનીઓને આંતરરાષ્ટ્રીય સરહદથી 100 કિલોમીટરની અંદરના લોકો માટે વધુ સારી કનેક્ટિવિટી જાળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
૭ મેના રોજ જારી કરાયેલા આદેશમાં ટેલિકોમ ઓપરેટરો એરટેલ, જિયો, બીએસએનએલ અને વીઆઈને અવિરત કનેક્ટિવિટી જાળવવા અને નેટવર્ક કામગીરીની ખાતરી આપવા માટે એકબીજા સાથે સંકલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી યોજાયેલી આ બેઠકમાં ટેલિકોમ કંપનીઓને ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવા અને કટોકટીની સ્થિતિમાં તેમની સુરક્ષા અને સતત કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે માળખાગત સુવિધાઓ અને સ્થાપનોની અપડેટેડ યાદી તૈયાર કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, ટેલિકોમ ઓપરેટરોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ BTS ને વીજળી પૂરી પાડવા માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ અનામત રાખે જેથી ડીઝલ જનરેટરમાં ઇંધણની અછત ન રહે. ઉપરાંત, ટેલિકોમ કંપનીઓને ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICT) સક્રિય કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કટોકટીની સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા ઇન્ટ્રા સર્કલ રોમિંગ સક્રિય કરવામાં આવે છે જેથી ટેલિકોમ કનેક્ટિવિટી ખોરવાઈ ન જાય. જ્યારે ઇન્ટ્રા-સર્કલ રોમિંગ ચાલુ હોય, ત્યારે આપત્તિના કિસ્સામાં અને હોમ નેટવર્કની ગેરહાજરીમાં, વપરાશકર્તાઓ કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરીને તેમના નંબર પરથી કોલ કરી શકે છે.